ગણેશચતુર્થી અને 10 દિવસ ગણેશ મહોત્સવ ચાલતો હોવાથી આ દિવસોમાં ઐઠોર ગણપતિ મંદિરે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ચાલુ દિવસોમાં પણ મોટી સંખ્યામાં વાહનોનો ઘસારો આ મુખ્ય માર્ગ પર હોય છે.
છેલ્લા 3 દિવસથી વરસાદ રોકાઈ ગયો હોવા છતાંય સ્થાનિક તંત્ર તૂટેલા રોડના ટુકડાને સારો માલસામાન વાપરી રોડ રોલરથી દબાવી લેવલ કરી પહેલા જેટલો મજબૂત કેમ કરી શકતું નથી તે ગ્રામજનોમાં નવાઈનો વિષય બની ગયો છે.
રોડ રોલરથી સરખું દબાણ અને લેવલ ના કરી શકવાના કારણે રાત્રે ખાડા પુરી દીધા હોય અને સવારે ફરીથી પહેલા કરતા વધુ મોટા ખાડા પડ્યા હોય છે.
આ દરમ્યાન 3 જેટલી લોડિંગ ગાડીઓ ફસાયાના પણ કેસ બન્યા છે.
ઐઠોરના જાગૃત નાગરિક આશિષ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી ખાસ કરીને રાત્રે અંધારા અને વરસાદ દરમ્યાન વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,
સોસીયલ મીડિયામાં ખુબ રજૂઆત છતાંય શોભાના ગાંઠિયા સમાન કહેવાતા હોદ્દેદારો સમસ્યાનું સ્થિર સમાધાન કરવામાં કેમ પાછી પાની કરી રહ્યા છે તે જ લોકોને સમજાતું નથી,
તેમના આ આંખ આડા કાન કરીને જતું કરવાની નીતિના પરિણામે મોટા અકસ્માતનો ભય વાહનોમાં અવરજવર કરનારોને સતાવી રહ્યો છે.
નિદ્રાધીન તંત્ર દ્વારા આ સમસ્યાનું સમાધાન ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર