પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ માં ગંદા પાણીના નિકાલની માંગ સાથે સ્થાનિકોનો હોબાળો
વરસાદી અને ગંદા પાણીના નિકાલની માંગ સાથે ચીફ ઓફિસરને કરાઈ રજુઆત ચીફ ઓફિસર પાસે કોઈ જાદુઈ લાકડી નથી:-નવનીત પટે
![](/wp-content/uploads/2024/05/IMG-20240529-WA0057.jpg)
પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલ ની કોઈ વ્યવસ્થા ન હોઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે માનસરોવર રેસિડન્સીના રહીશો નગરપાલિકા દોડી ગયા હતા. જ્યાં તેઓએ ચીફ ઓફિસર સમક્ષ રોષ ઠાલવતા ગંદા પાણીના નિકાલની માંગ કરી હતી.
પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં માનસરોવર રેસિડન્સી સાહિતની સોસાયટીઓ આવેલી છે. જોકે, કોલેજ કમ્પાઉન્ડથી માવજત જતા માર્ગ પર કમ્પાઉન્ડ વોલ બની જતા ગટરના ગંદા પાણી સહિત વરસાદી પાણીનો નિકાલ કરતી લાઈનો ચોકઅપ થઈ ગઇ છે. જેના કારણે ગટરનું ગંદુ પાણી લોકોના ઘરોમાં ઘુસી રહ્યું હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.
જોકે, વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના નિકાલ નહિ થવાથી તીવ્ર દુર્ગંધ વચ્ચે રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. ચોમાસામાં વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાઈ જતું હોઇ લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થતું હોઇ આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલન છેડવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી.
જાદુઈ લાકડી નથી: જોકે, ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે, ચીફ ઓફિસર પાસે કોઈ જાદુઈ લાકડી નથી. પરમેનેન્ટ સોલ્યુશન માટે સર્વે થઈ ગયો છે. પણ જમીન માલિકે ના પાડતા રુટ બદલી ટૂંક સમયમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ થઈ જશે તેવો દાવો તેઓએ કર્યો હતો. તેઓએ વરસાદી પાણીના નિકાલ માટે જરૂર પડે દીવાલ તોડી નાખવાની ચીમકી પણ આપી હતી.