ઊંઝા શહેર સહિત પંથકમાં વરીયાળીમાંથી નકલી જીરૂ બનાવવાનો વેપલો ફુલ્યો ફાલ્યો : સંબંધિત તંત્રની ચુપકીદ
આરોગ્ય મંત્રીના રાજમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા બીજાના નામે ફેક્ટરી કે ગોડાઉન ભાડા કરાર કરી મોટા માથાઓની છટકી બારી
![](/wp-content/uploads/2024/05/IMG-20240530-WA1202.jpg)
રાજકારણીઓ ભેળસેળીયા તત્વોને ત્યાં ગીરો પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું: ઉઝા માર્કેટ યાર્ડ વિશ્વમાં વિખ્યાત છે. યાર્ડમાં વિવિધ ખેત પેદાશોની જણશીઓ લઈને વેચાણ માટે અહીં આવે છે. જીરૂ અને વરિયાળી, ઈસબગુલના માલની આવકો વધુ આવે છે. ઊંઝા ખાતેથી જીરૂ અને વરિયાળીનો ફોરેનમાં કરોડોનો વેપાર થાય છે. જ્યારે બીજી બાજુ વાત કરી તો, છેલ્લા ઘણા સમયથી ઊંઝા શહેર સહિત પંથકમાં નકલી જીરૂનો વેપલો દિન પ્રતિદિન વધી રહ્યો છે. જીરાના ભાવમાં તેજી હોય ત્યારે કેટલાક કથિત ભેળસેળીયા તત્વો દ્વારા આ ગોરખધંધાથી તગડી કમાણી કરી રહ્યા છે. વરીયાળીમાંથી નકલી જીરૂ બનાવવા માટે શંખજીરૂ, પાવડર, સીમેન્ટ, કેમીકલવાળો લીલો કલર સહિતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ ભેળસેળીયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
ઉઝા શહેર સહિત તાલુકાના ગામડાઓમાં ફેક્ટરીઓ કે પછી ગોડાઉન રાખી આ ભેળસેળના ધંધાને અંજામ આપી રહ્યા છે. સંબંધિત તંત્રથી બચવા માટે બીજાના નામે ફેક્ટરી કે ગોડાઉનના ભાડા કરાર કરી મોટા માથાઓ છટકી રહ્યા છે. આ ભેળસેળીયા તત્વો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેટલાક કથિત ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જેને લઇને જલ્દી કરોડપતિ બનવાની લ્હાયમાં આ ભેળસેળીયા તત્વો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તંત્રનો જાણે કોઈ ડર કે ભય ન હોય તેવું લાગી રહ્યું છે.
આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ કે જેઓ ઉઝા તાલુકાના કહોડા ગામના વતની હોવા છતાં આ ગેરકાયદેસર બદીને ડામવામાં નિષ્ફળ નિવડ્યા છે. આરોગ્ય મંત્રીના રાજમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકનાર ભેળસેળીયા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? જેનો જનતા જવાબ માગી રહી છે. કથિત ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર તળે આ વેપલો ફુલો ફાલ્યો છે. શું આરોગ્ય મંત્રી દ્વારા આવા અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળીયા તત્વોને ડામવામાં આવશે કે પછી આરોગ્ય મંત્રીના રાજમાં આમ જ ચાલતું રહેશે જેવા અનેક સવાલો બુધ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભેળસેળનો કાળોબાર કેટલાક ભેળસેળીયા તત્વો અને સંબંધિત તંત્રની મિલીભગતથી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે. આ તત્વો રાજકીય વગ ધરાવતા હોવાથી બિન્દાસ રીતે કાયદાના સકંજામાંથી છુટી જાય છે. સંબંધિત તંત્ર આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવે તો રાજકીય ઈશારે છુટી જાય છે. જાણે કે રાજકારણીઓ ભેળસેળીયા તત્વોને ત્યાં ગીરો પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.