મોડાસા માલપુર રોડ ઉપરથી ચરસનો જથ્થો લઈને આવતા શખ્સને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી
મોડાસા માલપુર રોડ ઉપરથી વર્ષ 2020માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જમ્મુ કશ્મીરથી કારમાં ચરસનો જથ્થો લઈને આવતા શખ્સને 16.755 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ગોધરા અને વડોદરાના શખ્સ સામે પણ ગુનો નોંધાયો હતો. આ કેસ મોડાસાની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એચએન વકીલે જમ્મુ કાશ્મીરના આરોપી અને ગોધરા તેમજ વડોદરાના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના તત્કાલિન અધિકારી સુનિલકુમારને બાતમી મળી હતી કે કાશ્મીરથી અબ્દુલ અઝીઝ પઠાણ વેગનાર ગાડીમાં ચરસનો જથ્થો લઈને 14 જાન્યુઆરી 2020ના રોજ શામળાજી થઈ માલપુર ચોકડી થઈ ગોધરા જવાનો હોવાનો માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી હેડલાઇટ તેમજ ગાડીના નીચેના ભાગે ગુપ્તખાનું બનાવીને અને વાઈપરની નીચેના ભાગેથી ચરસના જુદા જુદા 19 પેકેટ મળી આવ્યા હતા.
પોલીસે 16.755 ગ્રામ ચરસનો જથ્થો કબ્જે લઈને અબ્દુલ અજીજ પઠાણની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આ ચરસનો જથ્થો ગોધરાના વિશાલ મંડોલાઅને વડોદરાના રાકેશ પ્રજાપતિ બંને ભાગીદાર હોય અને તેમણે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તદુપરાંત તપાસ દરમિયાન જ્યારે અબ્દુલ અજીત જમ્મુ કશ્મીરથી નીકળ્યો ત્યારથી જ વિશાલ મંડોલા તેના લાઈવ સંપર્કમાં હોવાનું અને તેણે અબ્દુલ અજીજને નાણા મોકલ્યા હોવાનું પણ સાબિત થયું હતું.
આ કેસ મોડાસાની જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ એચ એન વકીલની કોર્ટમાં ચાલી જતા નાર્કોટિક્સ બ્યુરોના તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર મહેશજી પટેલ અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. મોડાસાની કોર્ટે આરોપી અબ્દુલ અઝીઝ પઠાણ રહે કશ્મીર અને વિશાલ મંડોલા રહે ગોધરા તેમજ રાકેશ પ્રજાપતિ રહે વડોદરા ને તકસીરવાન ઠેરવીને ત્રણેય આરોપીઓને 10 વર્ષની સજા અને રૂ. એક લાખ દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.