એક શ્રમિક ની હાલત ગંભીર અન્ય ત્રણને સામાન્ય ઇજા : ચારેય શ્રમિકો ને સિધ્ધપુર સિવિલમાં ખસેડાયા: વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર બની રહેલ નવીન ઓવર બ્રિજ ની કામગીરી દરમિયાન શુક્રવારે લોખંડ ની ખિલાસરી ની જાળી અચાનક ધસી પડતા કામ કરી રહેલ ચાર શ્રમિકો દટાયા હતા. જોકે ઇજાગ્રસ્ત તમામ કામદારો ને સિધ્ધપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર – મહેસાણા હાઈવે ઉપર આવેલ છાપી હાઇવે ઉપર નવીન ઓવરબ્રિજ નું કામ રાકેશ કન્સ્ટ્રક્શન મહેસાણા દ્રારા શરૂ કરવામાં આવ્યું છે. ઓવરબ્રિજ માટે હાલમાં બન્ને તરફ આરસીસી દીવાલ નું કામ શરૂ કરવામાં આવતા દીવાલ માટે ખિલાસરી ઉભી કરવામાં આવી હતી.જોકે કામગીરીમાં કોન્ટ્રાકટર ની બેદરકારી સામે આવી હોવાનું સ્થળ ઉપર થી જાણકારી મળી રહી છે.ઉભી કરાયેલ ખિલાસરી ને યોગ્ય સ્પોર્ટ ન અપાતા અચાનક ખિલાસરી ની જાળી ધસી જતાં નીચે કામ કરતા ચાર મજદૂર દટાયા હતા. ઘટના ને લઈ અન્ય સાથી કામદારો એ દટાયેલ મજદૂરો ને ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યા હતા. દટાયેલ મજદૂરો પૈકી એક ને કમ્મર ના ભાગે ગંભીર ઇજા થયા નું જાણવા મળે છે જ્યારે અન્ય ત્રણ ને સામાન્ય ઇજાઓ થઈ હતી.આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક સિધ્ધપુર સિવિલમાં ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર ઘટના ને લઈ ઘટના સ્થળે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતા હાશકારો થયો હતો.
નિયમો નો ભંગ થતા હોવાના આક્ષેપ: છાપી હાઇવે ઉપર નવનિર્મિત ઓવરબ્રિજ ની કામગીરી માં કોન્ટ્રાકટર દ્રારા શ્રમિકો ને હેલ્મેટ પહેરવામાં બેદરકારી સામે આવી છે તેમજ સાઈડ ઉપર સેફટી ગાર્ડ માં પણ છીંડા જોવા મળી રહ્યા છે. જેના કારણે ચોવીસ કલાક ધમધમતા હાઇવે ઉપર મોટા અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે.
પાલનપુર ની ઘટના બાદ પણ બેદરકારી યથાવત: ગુજરાત માં ઠેરઠેર રોડ રસ્તા તેમજ ઓવરબ્રિજ ના વિકાસ કાર્યો મોટા પ્રમાણ માં ચાલી રહ્યા છે.ત્યારે સરકાર ના માનીતા કોન્ટ્રાક્ટરો છાકટા બની ભારે બેદરકારી કરી રહ્યા છે.તાજેતર માં પાલનપુર આરટીઓ ચેક પોસ્ટ પાસે ના ઓવરબ્રિજ નો ગડર નીચે પડતા બે ઈસમો ના મોત નિપજ્યા હતા.છતાં ભ્રષ્ટ તંત્ર ની રહેમ નજર તળે કોન્ટ્રાક્ટરો બેફામ બની નિયમો તેમજ કામગીરી ની ગુણવત્તા માં ભારે બેદરકારી દાખવી રહ્યા છે.
છાપી હાઇવે ઉપર નવનિર્મિત ઓવરબ્રિજ ની કામગીરી દરમિયાન લોખંડ ની ખિલાસરી ની જાળી ધસી પડતા ચાર શ્રમિકો દટાતા દોડધામ મચી હતી. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી.