રાધનપુર શહેરમાં પાણીનો કેરબો રાખવા મામલે બે લારી ધારકો બાખડતા 6 ઇસમો સામે ફરિયાદ
રાધનપુર શહેરમાં પાણીનો કેરબો રાખવા મામલે બે લારી ધારકો બાખડતા 6 ઇસમો સામે ફરિયાદ
પાટણ જિલ્લાના રાધનપુરમાં ખાણી પીણી નાસ્તાની લારી પર પાણીનો કેરબો રાખવા બાબતે થયેલી બોલાચાલી બાદ થયેલી મારામારી માં પોલીસ દફતરે સામ સામે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ રાધનપુરનાં મેઇન બજારમાં આવેલ શેઠ કે.બી હાઇસ્કૂલ નજીક ખાણી પીણી નાસ્તાની લારી અને ડુંગળી બટાકા વેપાર કરતાં રાજુભાઈ કરશનભાઈ દેવીપૂજક અને દિલીપભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ બન્ને વહેલી સવારે વેપારની લારી પર હતા.જે દરમિયાન પીવાના પાણીનો કેરબો દિલીપ ભાઈએ રાજુભાઈની લારીની બાજુમાં રાખતા બન્ને જણા સામ સામે અપશબ્દ બોલી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને એકબીજાને વજન કાંટાનો બાટ અને ગડદા પાટુંનો માર મારતા બને ઈસમોને ઈજાઓ થઇ હતી.
જેઓને સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજાગ્રસ્તોને સારવાર મળે તે પહેલાં ફરીથી ઉશ્કેરાઈ જઈને માર મારતા અને લારીઓ અહીં રાખીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં દિલીપભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ,રાજેશભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ,લાલાભાઇ હરગોવનભાઈ પ્રજાપતિ, રાજુભાઈ કરસનભાઈ દેવીપુજક,ગંગાબેન રાજુભાઈ દેવીપુજક, છનાભાઈ કરસનભાઈ દેવીપુજક વિરૂદ્ધ સામ સામી રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે