હારીજમાં ખેતરમાં ચરતી ભેંસો પર વીજ વાયર પડતા ત્રણ ભેંસોના મોત: પશુપાલક પરિવારની માથે આભ ફાટયું
હવામાન વિભાગનીઆગાહીને લઈને હારીજ પંથકમાં વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો જેને પગલે વહેલી સવારે હારીજ મોર્ડન સ્કૂલ નજીક ખેતરમાં ચારો ચરતી ભેંસો પર અચાનક વીજ વાયર સ્પાર્ક થઈ તૂટીને ભેંસો પર પડતા ત્રણ ભેંસોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પશુપાલક કનુભાઈ ભરવાડને જાણ થતાં પોતાના ખેતરે પહોંચ્યા બાદ ભેંસોના મોત થયાની જાણ થતાં પરિવારની ઉપર આભ ફાટી પડ્યું હતું.
વધુમાં કનુભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ભાગમાં રાખી ખેતી કરતા ખેતરમાં ચારો ચરતી ભેંસોના મોતના સમાચાર મળતા તેઓએ UGVC ટીમને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી પંચ નામું કર્યું હતું.ત્યારબાદ પશુ દવાખાનાના સરકારી ડોકટર દ્વારા મૃતક ભેંસોનું પી.એમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પશુપાલક પરિવારે ૪ લાખ ઉપરાંતની કિંમતની ભેંસોનું અચાનક મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે તેમજ પશુપાલક દ્વારા તંત્ર પાસે વળતરની માગ કરી હતી.