![](/wp-content/uploads/2024/05/IMG-20240521-WA0118.jpg)
આગળના ગામોમાં પાણી ન પહોંચતા હાલાકી: સરકાર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચાડવા માટે ખેડૂતના ખેતરોમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડે છે, પણ આ પાઇપલાઇનમાં ક્યારેક કોઈ ટેક્નિકલ સમસ્યા આવે તો તેને રીપેર કરવાની જવાબદારી પણ તંત્રની છે. ત્યારે મોડાસાના સરૂપુર પાસે ખેતરમાં નાખેલ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું.
મોડાસાના શીનાવાડથી સરૂપુર વચ્ચે ખેડૂતના ખેતરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખેલી છે. આ પાઇપલાઇનમાં છેલ્લા એક વર્ષથી ભારે ભંગાણ સર્જાયું છે. જેના કારણે ખેડૂતની જમીનમાં ધોવાણ થયું છે. જે તે સમયે ખેડૂતે ખેતરમાં ઘઉં વાવેલા હતા. જે સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતે અગાઉ પાણી પૂરવઠા વિભાગમાં રજૂઆત કરી હતી અને ખેડૂત આશાએ બેઠા હતા કે તંત્ર લિકેઝ લાઇન રિપેર કરશે, પણ એક વર્ષ જેટલો સમય થયો છતાં રીપેર ના કરાતા ખેડૂત વાવેતર કર્યા વગર જ બેસી રહ્યા છે. હાલ ખેડૂતનો આધાર માત્ર ખેતી પર છે અને તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતને છતી જમીને બેસી રહેવાનો વારો આવ્યો છે. ત્યારે આ જમીનમાં લિકેઝ લાઇન ઝડપી રીપેર થાય એવી માગ છે.