મહેસાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉનાવા સાહિલ હોટલ થી ગંજબજાર સુધીના અનધિકૃત દબાણો જેસીબી મશીનથી દુર કરાયા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : લોકોના ટોળે ટોળા ઉમટ્યા, ઊંઝા તાલુકાના ઉનાવા ગામેથી પસાર થતાં જૂના સ્ટેટ હાઇવે પર છેક સાહિલ હોટલ થી ઉનાવા ગંજબજાર સુધી અનધિકૃત દબાણો દૂર કરવા ઉનાવા સરપંચ ચિરાગ પટેલ દ્વારા સરપંચ સંકલન બેઠકથી લઈ સાંસદ સુઘી રજૂઆત કરવામાં આવી હતી. જોકે વારંવાર રજૂઆતો કરવા છતાં દબાણો દૂર ના થતાં આખરે સરપંચ ચિરાગ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી રજૂઆત કરી હતી. જેને લઇ આજે મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ ઊંઝા મામલતદાર અને ઉનાવા, ઊંઝા પોલીસ અધિકારીઓ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેને લઇને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ઉનાવા ગામમાં કેટલાક ઇસમોએ ગામમાંથી પસાર થતા છેક સાહીલ હોટલ થી એ.પી.એમ.સી ઉનાવા સુધીના જુના સ્ટેટ હાઇવે ઉપર અનઅધિકૃત દબાણો કરેલ છે. જેના કારણે ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ દબાણો દુર કરવા માટે ઊંઝાના ધારાસભ્ય, જીલ્લા સાંસદ તથા મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી રજુઆતો કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી તરફથી હકારાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમ છતાં આપણા જીલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર તથા જીલ્લાના ડી.આઈ.એલ.આર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. જેથી ના છુટકે ઉનાવા ગ્રામ પંચાયત કચેરી દ્વારા પત્રક્રમાંક ૭૦, તા- ૭/૩/૨૦૨૪ થી ભારતના નરેન્દ્રભાઈ મોદીને પણ પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. બાદ ચિરાગ પટેલ સરપંચ ઉનાવા દ્રારા મહેસાણા કલેકટરને રજુઆત કરાઇ હતી. જેને લઇ આજે મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડી.આર.પટેલ સહિત કર્મીઓ, ઊંઝા મામલતદાર રેખાબેન રાવલ, મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલ, ઉંઝા પી.આઈ પી.ડી.દરજી, ઉનાવા પીએસઆઇ કે.જે.ચૌધરી સહિતની ઉપસ્થિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેસીબી મશીન વડે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા માર્ગ મકાન વિભાગ દ્વારા હોટલ સાહિલ થી ઉનાવા એપીએમસી સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ માર્ગ મકાન સિવાયના દબાણો યથાવત રહેવા પામ્યો છે. તે દબાણો ગ્રામ પંચાયતમાં આવતા હોવાથી સહી સલામત રહેવા પામ્યા છે.
સ્ટાફના અભાવે કાર્યવાહી નહોતી થઈ : ડી.આર.પટેલ મહેસાણા માર્ગ મકાન વિભાગના અધિકારી ડી.આર.પટેલે જણાવ્યું હતું કે, ઉનાવા ગામમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે ઉનાવા બાયપાસ તરીકે ઓળખાતા ગ્રામજનોની લારી ગલ્લા અને પાકા દબાણો કરી ટ્રાફિકની હેરાનગતિ થતી હતી. એની રજૂઆત ઉચ્ચ કક્ષાએ એક વર્ષથી થઈ હતી. એમની મૌલિખ સમજાવટ થઈ હતી. જેના વ્યક્તિગત દબાણો હતા એમને રીમુવ નહોતા કર્યા એને યોગ્ય સમયે જોઈ આજે ૨૪/૫/૨૪ અમે નિયમ અનુસાર મામલતદાર અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ દબાણો દૂર કર્યા હતા. જેના કારણે સ્ટેટ હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા નહિ રહે. અને ગ્રામજનોને પણ ફાયદો રહેશે. રજૂઆત તો મુખ્યમંત્રી અને વડાપ્રધાનને થઈ હતી. પણ યોગ્ય સમયની અને સ્ટાફના અભાવના લીધે કાર્યવાહી નહોતી થઈ.