ફાયર સેફ્ટી માટે બોટલો રીફ્લિંગ કરાવવા આપી હોવાનું અધિકારીનું રટણ: પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તાર માં આવેલા અનાજના ગોડાઉન માં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો હતો. ગત 20 તારીખે બોટલો એક્સપાયર્ડ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. જેના પગલે કોઈ દુર્ઘટના સર્જાય તો ગરીબો નું અનાજ તેમજ લોકોના જાનમાલને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી હોવાની રાવ ઉઠી છે.
રાજકોટમાં ગેમ ઝોન માં બનેલી આગ હોનારત બાદ વહીવટી તંત્ર જાગ્યું છે. પાલનપુર નગરપાલિકા દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પાલનપુર શહેરની ખાનગી મિલકતોને સીલ કરવામાં આવી હતી. પરંતુ દીવા તળે અંધારું હોય તેમ પાલનપુર ઢુંઢિયાવાડી વિસ્તારમાં જિલ્લાનું અનાજનું ગોડાઉન આવેલું છે. તે ગોડાઉન મારફતે અન્ય દુકાનોમાં અનાજનો પુરવઠો મોકલવામાં આવે છે. જ્યાં રિયાલિટી ચેક કરતા ઢુંઢિયાવાડી વિસ્તારના ત્રણ અનાજના ગોડાઉનમાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો હતો.
આ બાબતે ફરજ પરના કર્મચારીને પૂછતા તેને જણાવ્યું હતું કે, ગત 20 તારીખે ફાયર સેફટીની બોટલો ની તારીખો એક્સપાયર્ડ થઈ ગઈ હોવાથી તે ભરાવા આપી છે. પરંતુ હજુ સુધી ભરાઈને આવી નથી. જે આગામી બે દિવસમાં આવી જવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આમ, રાજકોટ દુર્ઘટના બાદ સરકારી કચેરીઓના બાબુઓ ઘોર નિંદ્રામાંથી જાગ્યા છે અને પોતાની કચેરીની તેમજ ગોડાઉની ફાયર સેફ્ટીની બોટલો ચકાસી તો એક્સપાયર્ડ થયેલી જોવા મળી હતી. અને ત્યારબાદ તેને ભરાવવા માટે આપી દેવામાં આવી છે.
જોકે, અત્યારે દુર્ઘટના સર્જાય તો ફાયર સેફ્ટી કેવી રીતે રાખી શકાય તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે તંત્ર દ્વારા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી ન હોય તો તેને સીલ મારવામાં આવતી હોય છે. પરંતુ સરકારી અનાજના ગોડાઉનમાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા તેના સામે કોણ કાર્યવાહી કરશે તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
અનાજના ત્રણ ગોડાઉનમાં માત્ર ત્રણ ફાયર સેફટી ની બોટલ: પાલનપુર ઢુંઢિયાવાડી વિસ્તારમાં અનાજના ત્રણ ગોડાઉન આવેલા છે. જેમાં ત્રણ બોટલો ફાયર સેફટી વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ અત્યારે ત્રણેય ગોડાઉન ની બોટલોને રિફ્લિંગ કરવા માટે આપવામાં આવી હોવાથી અત્યારે એક પણ ગોડાઉનમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું.
સરકારી અનાજથી ગોડાઉન ભરેલું: પાલનપુર ઢુંઢિયાવાડી વિસ્તારમાં આવેલ અનાજનું ગોડાઉન પુરવઠા થી ભરેલું જોવા મળ્યું હતું. જેથી કોઈ દુર્ઘટના સર્જાય તો મોટા પ્રમાણમાં ગરીબોના સરકારી અનાજના જથ્થાને નુકસાન થઈ શકે છે તો તંત્ર દ્વારા પણ ગંભીરતા લઈ ઝડપથી ફાયર સેફટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.