ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં એકપણ બેઠક ન જીતી શકેલી કોંગ્રેસને 2024માં એક બેઠક ગેનીબેન ઠાકોરે અપાવી છે. બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોર આજે દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
જીત બાદ ગેનીબહેન ઠાકોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠાની જનતા, કાર્યકર્તા અને મીડિયાનો પણ આભાર. મેં મામેરું જે માંગ્યું હતું તે બનાસકાંઠાની જનતાએ ભર્યું તે બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર. બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા છે. હું જીવું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનો ઋણ ઉતારું.
ગુજરાતમાં ભાજપનું સતત ત્રીજીવાર 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવાનું સપનું હતું. ભાજપે 25 બેઠકો તો જીતી લીધી પરંતુ, બનાસકાંઠા બેઠક જીતી ન શકી. બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30 હજાર કરતા વધુ મતે હાર આપી ગેનીબેન દિલ્હી પહોંચ્યા છે. આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.