![](/wp-content/uploads/2024/06/IMG-20240613-WA1028.jpg)
છેલ્લી બે મુદતથી ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં હતાં. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે જે શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા એ જ શંકરભાઈ ચૌધરી હાલ વિધાનસભાના અધ્યક્ષ અને ગેનીબેને શંકરભાઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ગેનીબેન તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતીને રેકોર્ડ બનાવવાની ભાજપની આશા પર પાણી ફેરવ્યું હતું.
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી આજે (13 જૂન) ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.
વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકે બે ટર્મ મને મોકો આપ્યો તે બદલ મારા મતદારોનો આભાર. રાજ્યમાં એક માત્ર કોંગ્રેસના સાંસદ તરીકે મને આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચડવા મને મોકો આપ્યો તે બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર. લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એકબીજા પર આક્ષેપો થતા હોય છે, ત્યારબાદ લોકોના હિતમાં કામ કરવાનું હોય છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળી કામ કરીશું.
2024ની લોકસભા ચૂંટણી માટે એક તરફ ભાજપની સંગઠન બળ હતું અને છેલ્લી ત્રણ ચૂંટણીથી ગુજરાતમાં ભાજપ હેટ્રિક કરી રહ્યો હતો. તેની સામે કોંગ્રેસમાં અંદરોઅંદર જૂથવાદને કારણે ગેનીબેનને વધારે ટેકો મળે તેમ લાગતું નહોતું. જોકે, મોટેભાગે તેઓ એકલે હાથે સમગ્ર લોકસભા વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. પ્રિયંકા વાડરાએ પણ ગેનીબેન માટે ચૂંટણી સભા કરીને તેમના માટે મત માગ્યા હતા.
સાંસદ બનેલા ગેનીબેન હવે દિલ્હી પહોંચશે. લોકસભાનું વિશેષ સત્ર 24 જૂને શરૂ થવાનું છે ત્યારે તેઓ બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે શપથ લેશે