ઉંઝા મામલતદાર કચેરી દ્વારા એક માસ અગાઉ લેખિતમાં જાણ કરવા છતાં: ઊંઝા શહેર સહિત તાલુકામાં ખુલ્લેઆમ માટી ચોરી થઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઉંઝા ખાતે ઐઠોર રોડ ઉપર આવેલ કેવલેશ્વર મહાદેવના મંદિરની ડાબી બાજુમાં જતા રીંગ રોડની સાઈડમાં આવેલ તળાવ હોય કે પછી તાલુકાના ઐઠોર તથા વણાગલા ગામેથી પસાર થતી પુષ્પાવતી નદી તથા વણાગલા જતા સદર નદીના ઉપર બનાવેલ પુલના નીચેના ભાગમાં ખુલ્લેઆમ અને બેરોકટોક માટી ચોરી થઇ રહી છે. નવાઈની વાત તો એ છે કે, કથિત સરકારી તંત્રની રહેમ નજર તળે ગૌચરમાંથી માટીની ચોરી થતી હોવાની લોકોમાં બુમરાણ ઉઠી છે. તો કેટલીક જગ્યાએ ગૌચર પણ પચાવી પાડવામાં આવી રહ્યા છે તેવી લોક ફરીયાદો ઉઠવા પામી છે. માટી ખનન પ્રકરણમાં સરકારી તંત્ર એક બીજાને ખો આપી રહ્યું છે. માટી ચોરી પ્રકરણમાં ઉંઝા મામલતદાર કચેરી પોતાની જવાબદારીમાંથી છટકી મહેસાણા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.
મહેસાણા ખાણ ખનીજ વિભાગને એક માસ અગાઉ ઉંઝા મામલતદાર કચેરી દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે. પરંતુ કોણ જાણે કેમ એક માસ જેટલો સમય વિતવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી ભુમાફીયાઓ સામે કરવામાં આવી નથી. ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે સરકારી તંત્ર એક બીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે. કથિત ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતથી આ ભુમાફીયાઓનુ સામ્રાજ્ય યથાવત રહેવા પામ્યું છે. મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા આજદિન સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં કોની રાહ જોઈ રહ્યું છે. રાજકીય દબાણ કે પછી કથિત તંત્રની મિલીભગતથી ભુમાફિયાઓ આબાદ રીતે પોતાના કામને અંજામ આપી રહ્યા છે. મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાનુની કાર્યવાહી કરાશે ? કે પછી આમ જ ચાલતું રહેશે