ઝઝામ માઇનોર કેનાલ બની ત્યારથી પાણી જ નથી આપ્યું છતાં નિગમે મંડળીને ૧.૫૩ લાખનું બિલ પધરાવ્યું
રાધનપૂર- સાંતલપુર તાલુકાની ૨૭૩ ખેડૂત મંડળીઓ પરંતુ એક પણ કાર્યરત નથી
![](/wp-content/uploads/2024/06/IMG-20240620-WA03691-780x470.jpg)
સાંતલપુર તાલુકાના ઝઝામ માઇનોર કેનાલ બનાવ્યા બાદ એક પણ વખત નર્મદા કેનાલનું માઇનોર કેનાલમાં પાણી જ છોડવામાં આવ્યું નથી તેમ છતાં નિગમ દ્વારા ખેડૂત મંડળીને ૧.૫૩ લાખનું પિયત બિલ પધરાવવામાં આવ્યું હતું.નર્મદા નિગમ દ્વારા પિયત મંડળીને બિલ આપવામાં આવતા સાંતલપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ દ્વારા નર્મદા વિભાગને રજુઆત કરી હતી.
સાંતલપુર- રાધનપૂર વિસ્તારમાં ખેડૂતોની ૨૭૩ જેટલી મંડળીઓ વર્ષો પહેલા બનાવવામાં આવી છે તેમજ નિગમ દ્વારા પણ માઇનોર કેનાલ દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તે માટે કેનાલ ખેતરો સુધી બનાવવામાં આવી છે.પરંતુ અનેક માઇનોર કેનાલોમા ખેડૂતોને પાણી મળતું નહિ હોવાની રાવ ખેડૂતો દ્વારા વર્ષોથી ઉઠી રહી છે ત્યારે માઇનોર કેનાલમાં પાણી પૂરતું નહિ મળતા ખેડૂતો પોતાના સ્વ ખર્ચે ખેતરો સુધી પાણી પહોંચાડી ખેતી કરે છે.રાધનપૂર -સાંતલપુર તાલુકામાં કુલ ૨૭૩ જેટલી ખેડૂત પિયત મંડળીઓ બનવવામાં આવી છે પરંતુ હાલમાં એક પણ મંડળી કાર્યરત નથીતેમજ ઝઝામ માઇનોર કેનાલ ૩ માં બનાવ્યા બાદ હજુ સુધી એક પણ વખત પાણી છોડવામાં નહિ આવ્યું હોવા છતાં નિગમ દ્વારા પિયત મંડળીને ૧.૫૩ લાખનું પિયત બિલ આપવામાં આવ્યું હતું
કેનાલમાં પાણી જ મુકાયું નથી:અણદુભા જાડેજા,સ્થાનિક
ઝઝામના સ્થાનિક આગેવાન અણદુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેનાલ બનાવી ત્યારથી હજુ સુધી પાણી છોડાયું નથી તેમજ કેનાલમાં પાઇપલાઇન અને ટાંકીઓ બનાવી તે પણ તૂટી ગયેલ છે તેમજ ખેડૂતોને પાણી પણ મંડળી દ્વારા આપવામાં આવેલ નથી જેથી ખેડુતોને મંડળીએ પાણી આપેલ નહીં હોવાથી કોઈ જ બીલ મંડળીને ભરવાનું થતું નથી જેની મેં રજુઆત કરી છે.
એક પણ ખેડૂત મંડળી કાર્યરત નથી-દયારામભાઈ,કાર્યપાલક ઈજનેર
નર્મદા નિગમના અધિકારી દયારામભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેડુત પિયત મંડળીઓ છે જે મંડળીઓ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરી છે.ખેડૂતોને માઇનોર કેનાલમાંથી પાણી નથી મળ્યું પરંતુ કેનાલના પાણીથી પિયત કર્યું છે જેથી પિયત બિલ મંડળીએ ભરવાનું થાય છે