રૂ.20,000 ની લાંચ લેતા ઝડપાયેલા સરકારી બાબુઓના 2 દિવસના રિમાન્ડ માંગ્યા હતા: પાલનપુર એસીબીએ નાયબ નિયામક ખેતી(વિસ્તરણ) કચેરી માં વર્ગ-2માં ફરજ બજાવતા એક 2 જિલ્લા ખેતીવાડી અધિકારી અને એક વચેટિયા સહિત ત્રણ લોકોને ગતરોજ રૂ.20,000 ની લાંચ લેતા ઝડપી લીધા હતા. જેઓને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે, ના.કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં.
ઇકબાલગઢમાં ફરિયાદીની દુકાને ખાતર સ્ટોકનું ચેકીંગ કરતા વિસંગતતા જણાઈ આવી હતી. જેથી ફરિયાદીનું પી.ઓ.એસ. મશીન થતા રજીસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય કબ્જે કરાયું હતું. જે પરત લેવા માટે અને કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે નાયબ નિયામક ખેતી (વિસ્તરણ) ની કચેરી, જોરાવર પેલેસ પાલનપુરમાં વર્ગ-2માં ફરજ બજાવતા ખેતીવાડી અધિકારી(1) ચંદ્રિકાબેન વા/ઓ દિગલેશભાઈ થુંબડીયા (2)રાકેશ ભાઈ રામા ભાઈ મકવાણા-ખેતીવાડી અધિકારી(વર્ગ-2) તથા વચેટિયો (3)હિતેન્દ્રકુમાર મોતીભાઈ ગામી રૂ.20,000 ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ ગયા હતા.
દરમિયાન, આજે એસીબીએ લાંચ લેતા ઝડપાયેલા વર્ગ-2ના બે અધિકારીઓ સહિત વચેટિયાને ના.કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે તમામના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. દરમિયાન, લાંચિયા સરકારી બાબુઓના ઘરે સર્ચ દરમિયાન કઈ વાંધાજનક મળી ન આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.