KD ફાઉન્ડેશનના પ્રોજેક્ટ દિશાએ સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ગુજરાતના આરોગ્યમંત્રી માનનીયશ્રી ઋષિકેશભાઈ પટેલ, કે ડી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ અનુજા દેસાઈ અને સીઓઓ ડૉ પાર્થ દેસાઈની હાજરીમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે 6 જિલ્લાના 50 થી વધુ ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દરેક વ્યક્તિને આરોગ્યસંભાળ સરળતાથી મળી રહે તે માટે પ્રતિબદ્ધતાના નોંધપાત્ર ઉદાહરણ તરીકે શ્રી હરિહર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ કે ડી ફાઉન્ડેશન તેની પરિવર્તનકારી પહેલ થકી નવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી રહ્યું છે. ઉમદા પ્રયાસમાં પ્રોજેક્ટ દિશા, કે ડી ફાઉન્ડેશનની મુખ્ય પહેલ છે.
રાષ્ટ્રીય અંધત્વ સર્વેક્ષણ (2015-2019) અનુસાર, ભારતમાં અંદાજિત 49.5 લાખ અંધ લોકો છે, જેમાં 2.4 લાખ અંધ બાળકો અને 700 લાખ લોકોને હળવા થી ગંભીર દૃષ્ટિની સમસ્યા છે. ભારતમાં અંધત્વના અગ્રણી કારણોમાં મુખ્યત્વે મોતિયાબિંદુ અને રીફ્રેક્ટિવ એરરના મુદ્દા છે. આ સમસ્યાઓને ઉકેલવા માટે પ્રોજેક્ટ દિશા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. મોબાઇલ આઇ કેર ક્લિનિક દ્વારા ગુજરાતના 6 જીલ્લાના 50 ગામમાં કેમ્પ યોજી બે વર્ષમાં 15,000 થી વધુ દર્દીઓને સહાય અપાઈ છે, 1,500 થી વધુ દર્દીઓની કે ડી હોસ્પિટલમાં વિનામૂલ્યે આંખની સર્જરી કરવામાં આવી છે, અને 6,000 થી વધુ વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા છે.
KD હોસ્પિટલની સમર્પિત ટીમ અને ઉદાર દાતાઓના સમર્થનથી, પ્રોજેક્ટ દિશા વંચિતો માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે ચમકે છે. અને આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જનક સાધુ દ્વારા કરવામાં આવ્યું.