7 વર્ષ બાદ હાઇકોર્ટના આદેશ મુજબ : બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા 9 ગ્રામ સેવકોને છુટા કરાયા
7 વર્ષ બાદ હાઇકોર્ટના આદેશ મુજબ ફરજ મુક્ત કરાયા: બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશને પગલે ફરજ મુક્ત કરાતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં 2016-17 માં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા ગ્રામસેવકની ભરતી બહાર પાડી નિયમાનુસાર પરીક્ષા લેવાઈ હતી. જેમાં 107 ઉમેદવારો ની પસંદગી કરાઈ હતી. જોકે, ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા બનાસકાંઠાના 9 ગ્રામસેવકોની ડીગ્રી BSC એગ્રીકલ્ચરની હોવાથી વિવાદ થયો હતો.
ગ્રામ સેવકોની ભરતી માં BSC એગ્રીકલ્ચરની ભરતી થતા અન્ય BRS ડીગ્રી ધરાવતા ઉમેદવારો સહિતના ઉમેદવારો કોર્ટમાં ગયા હતા. જોકે, કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટના આદેશને પગલે બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બનાસકાંઠા ના 9 ગ્રામસેવકો ફરજમાંથી છુટા કરાયા હોવાનું ડીડીઓ એમ.જે.દવેએ જણાવ્યું હતું. જોકે, 7 વર્ષ ફરજ બજાવ્યા બાદ કોર્ટના આદેશથી છુટા કરાયેલા ગ્રામસેવકો પણ કોર્ટમાં ગયા હોવાના અહેવાલ સાંપડયા છે. જેથી આ વિવાદ હાલ શમે તેવુ જણાતું નથી.
ફરજ મુક્ત કરાયેલ ગ્રામસેવકો
(1)કિશનકુમાર બાબુભાઈ ચમાર. તત્કાલિન ગ્રામસેવક હાલ વિસ્તરણ અધિકારી (સહકાર) તાલુકા પંચાયત, કચેરી, પાલનપુર
(2)હસમુખભાઈ ભીખાભાઈ ચૌધરી.તત્કાલિન ગ્રામસેવક, હાલ આંકડા મદદનીશ. ICDS -3, તાલુકા પંચાયત, કચેરી, પાલનપુર.
(3)વિનોદકુમાર નાનજીભાઇ ચૌધરી.તત્કાલિન ગ્રામસેવક, હાલ વિસ્તરણ અધિકારી (ખેતી) ખેતીવાડી શાખા, જિ.પં.બ.કાં, પાલનપુર
(4)નરેશકુમાર રઘનાથભાઈ ચૌધરી.તત્કાલિન ગ્રામસેવક હાલ વિસ્તરણ અધિકારી (સહકાર) તાલુકા પંચાયત. કચેરી, સુઈગામ
(5)નરેન્દ્રકુમાર હરીભાઈ ચૌધરી તત્કાલિન ગ્રામસેવક હાલ આંકડા મદદનીશ. આંકડા શાખા, જિ.પં.બ.કાં..પાલનપુર
(6)હિતેશકુમાર કલ્યાણભાઈ ચૌધરી ગ્રામસેવક, સેજો:-ચેખલા, તા.કાંકરેજ
(7)દિપાભાઈ વેલાજી ચૌધરી ગ્રામસેવક, સેજો:-થાવર, તા.ધાનેરા
(8)ચેલાભાઈ વાઘાભાઇ ચૌધરી ગ્રામસેવક, સેજો:-ડુંગરારાણ, તા.કાંકરેજ
(9)સોનલબહેન ભિખાભાઈ ચૌધરી ગ્રામસેવક, સેજો: હાથીદ્રા, તા.પાલનપુર
29 જૂનથી છૂટા કરાયા
બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં સને-2016-17 માં થયેલી ગ્રામ સેવકની ભરતીમાં બી.એસ.સી એગ્રીકલ્ચર ડીગ્રી ધરાવતા 09 ઉમેદવારોની પસંદગી થતા બી.આર.એસ.ડીગ્રી ધારક ઉમેદવારો હાઇકોર્ટમાં ગયા હતા. દરમિયાન, એલ.પી.એ.નં.705/ 2023 અન્વયે ના.હાઇકોર્ટ દ્વારા તા.10-11-2023ના ચુકાદા અનુસાર 9 ગ્રામસેવક સંવર્ગના કર્મચારીઓને 29-6-2024 ના રોજ કચેરી સમય બાદ સરકારી સેવામાંથી ફરજ મુક્ત કરી છૂટા કરવાનો આદેશ કરાયો છે.