થરાદ પોલીસના ચાર કર્મચારીઓ વિરુદ્ધ ક્રિમિનલ કેસ રજીસ્ટરે દાખલ કરવા કોર્ટ નો હુકમ
થરાદ પોલીસ મથકના કર્મચારીઓએ દુષ્કર્મના કેસની ફરિયાદ નોંધવામાં એક માસનો વિલંબ કર્યો હતો. આ અંગે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં ન્યાયાધીશે ચાર કર્મચારીઓ સામે ક્રિમિનલ કેસ રજિસ્ટરે દાખલ કરવાનો હુકમ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
થરાદ પોલીસ મથકમાં ફરિયાદીએ આઇપીસી કલમ 376 મુજબ ફરિયાદી આપી હતી. જોકે,પોલીસે ગુનો નોંધ્યો ન હતો. આ અંગે થરાદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ડીવાયએસપીને તપાસ કરી અહેવાલ રજૂ કરતાં એક એસઆઈ લતાબેન શ્રીકિશન, એસઆઈ ધનાજી ગુરખાજી, ગીતાબેન જગતાજી અને હેડ કોન્સ્ટેબલ પ્રભુભાઈ નરસેગભાઈ વિરુદ્ધ આઇપીસી સેક્શન 166 એસી તથા 114 મુજબ ગુનો બનતો હોવાનું પ્રથમ દર્શનીય જણાઇ આવતું હોય થરાદ કોર્ટે આરોપીઓ વિરુદ્ધ ફોજદારી રજિસ્ટરે ગુનો દાખલ કરી તેઓની સામે પ્રોસેસ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો હતો. આ કામના આરોપીઓ વિરુદ્ધ થરાદ કોર્ટમાં ક્રી. કે.નંબર 629/2024 થી દાખલ થયો છે. જેમાં આરોપીઓને તારીખ 20/07/24 ના કોર્ટ સમક્ષ હાજર રહેવા પ્રોસેસ ઇસ્યુ થયેલ છે.