સરહદી વાવ અને સુઇગામ પંથકમાં વર્ષો જૂની એવી અનેક શાળાઓ છે જેમના બાંધકામ સાવ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવી અનેક શાળાઓ છે જે એક પ્રકારે વિધાર્થીઓ માટે ખતરા સમાન છે.
આમ જોવા જઈએ તો ગુજરાત સરકાર શાળાઓ પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી જેતે વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવી શિક્ષણ ને વધુ પ્રાધાન્ય આપી રહી છે. સરહદના વાવ અને સૂઈગામ બન્ને તાલુકાઓમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના ઓરડા નિર્માણ કરવા તેમજ રીનોવેશન કામ માટે છેલ્લા 10 વર્ષમાં લગભગ 100 કરોડથી વધુની ગ્રાન્ટ ખર્ચ કરાઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ આવનારી ભાવિ પેઢીઓ એટલેકે ભારતના ભવિષ્ય એવા યુવા પેઢીઓના ઘડતર માટેની શાળાઓમાં પણ વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. અહીં આશ્ચર્ય ત્યારે થાય કે સામાન્ય પગારનોં કરાર આધારિત ટી.આર.પી કર્મચારી શાળાઓમાં વિઝિટ કરવા મોંઘી ગાડીઓ લઈને છેક પાલનપુરથી અહીં પહોંચે છે. એટલે સમજો તે જવા આવામાં દિવસના બસ્સો કિલોમીટર કરતા વધુ અંતર પોતાની ગાડી ચલાવે છે. ત્યારે એ સમજો કે વીસ હજારથી ઓછો પગાર ધરાવતો કર્મી આટલી જાહોજલાલી કરવા સક્ષમ કઈ રીતે છે એવી તો કઈ બેનામી આવક થકી આ શક્ય બની રહ્યું છે અને એટલે જ અહીં આ સવાલ આ કર્મીની ફરજ પર અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.
રાછેણા ગામની સરકારી શાળા એ 50 વર્ષ કરતાં વધુ સમય જૂની વિધાર્થીઓ માટે જોખમી હાલતમાં: વાવના છેવાડાના છેડે આવેલી ધોરણ 1 થી 8 સુધીની આ સરકારી શાળા છે જ્યાં 347 થી વધુની સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હવે જર્જરીત આ શાળા બાબતે ગામના સરપંચ કિરણ સિંહ જણાવે છે કે અમો આ શાળામાં ઓરડા જર્જરીત હાલતમાં હોવાથી અનેક વખત માંગણી કરી છતાં આજ દિવસ સુધી પૂરી નથી થઈ માટે ઓરડાની ઘટ હોવાથી અહીં વિધાર્થીઓ બહાર ખુલ્લી જગ્યામાં બેસવા મજબૂર છે.
કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં આદેશ જરૂરી: ઘણી વખત સરકાર કોઈ મોટો બનાવ બન્યા બાદ તપાસ ચલાવવા આદેશ આપે છે પણ ખરેખર આવા બનાવો પાછળ સ્થાનિક તંત્ર લાપરવાહ હોય ત્યારે જ આવા બનાવો બનતા હોય છે કારણકે આ સરહદી વિસ્તારની જર્જરીત શાળાઓના દ્રશ્યો જાણે બૂમો પાડી પાડીને ભય દર્શાવે છે છતાં સ્થાનિક તંત્ર આ જોવા રાજી જ ન હોય તેવું લાગી રહ્યું છે.
શું સરકાર ગ્રાન્ટ ઓછી ફાળવે છે?: અનેક વખતની માંગણીઓ છતાં ઓરડા નથી મળી રહ્યા અથવા મંજુર નથી કરવામાં આવતા એનું કારણ શું ? શું સરકાર પૈસા નથી ફાળવી રહી ? કે પછી ઓરડાઓની મંજૂરીમાં સ્થાનિક રાજકારણ હસ્તક્ષેપ કરી રહ્યું છે ? આ બાબતે સવાલો અનેક છે સાચું જે પણ હોય પરંતુ અહીંની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે વિધાર્થીઓ ભય તળે છે ઓરડા જર્જરીત છે અને એ ફાળવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
આ બાબતે આળસ મરડી જો કોઈ તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો જરા આ પણ જોજો: રાજ્યમાં કેટલાક આગ લાગવાના બનાવોમાં અનેક જિંદગીઓ હોમાંઈ તેમની ચિચિયારીઓ હજુ શાંત નથી પડી ત્યારે એમને યાદ કરતા, કહેવું પડે કે બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં ફાયર સેફટી માટે ફાળવેલ સાંધનોની ખાસ તપાસ કરવામાં આવે કે કેટલી શાળાઓમાં આ ફાળવેલ સાંધાનો હયાત છે.