પાટણ જિલ્લા કલેકટર દ્વારા મંગળવારના રોજ સવારે 9.00 કલાકે સરસ્વતી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધાર ખાતે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન કેન્દ્રના સ્ટાફની હાજરી તેમજ આરોગ્યલક્ષી કામગીરીની ચકાસણી કરતાં આ કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. નિક્ષિતસિંહ રાજપૂત ફરજ પર હાજર જોવા મળ્યાં નહોતા. તેમજ તેઓ આ કેન્દ્ર ખાતે બોન્ડેડ તબીબ તરીકે તા.14/08/2023 ના રોજ હાજર થયા બાદ અંદાજીત ચાર માસ માટે જિલ્લા કક્ષાએથી સક્ષમ અધિકારીની મંજુરી મેળવ્યા સિવાય બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હતા. તેમજ વિદેશથી પરત ફરતાં ફરજ પર હાજર થવા માટેની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી પાટણ દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી આપેલ ન હતી તેમ છતાં મનસ્વી રીતે તેઓ તા. 08/07/2024 ના રોજ ફરજ પર હાજર થઇ ગયેલ હતા.
ઉપરાંત ડૉ.નિક્ષિતસિંહ રાજપૂત અવાર-નવાર પોતાની ફરજ ઉપર બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલ હોય જેથી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની મંજુરી અન્વયે ડૉ. રાજપૂતને તેઓની બોન્ડેડ તબીબ તરીકેની શરતોનું પાલન ન કરવા અને બિનઅધિકૃત ગેરહાજરી તથા ફરજ પ્રત્યે બેદરકારી દાખવવાના કારણોસર અને તેઓની વિરુધ્ધ સ્ટાફ દ્વારા મળેલ નિવેદન અન્વયે તાત્કાલિક ફરજ મુક્ત કરી આગળની જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી માટે કમિશ્નર (આરોગ્ય) ગાંધીનગરની કચેરી ખાતે હાજર થવા મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ ડૉ. રાજપૂત વિરુધ્ધ બોન્ડની રકમ વસુલાત અંગે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાટણ નાઓએ જણાવ્યું હતું.